GSEB Solutions Class 10 Social Science Chapter 9 વન અને વન્યજીવ સંસાધન

Gujarat Board GSEB Textbook Solutions Class 10 Social Science Chapter 9 વન અને વન્યજીવ સંસાધન Textbook Exercise and Answers.

વન અને વન્યજીવ સંસાધન Class 10 GSEB Solutions Social Science Chapter 9

GSEB Class 10 Social Science વન અને વન્યજીવ સંસાધન Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:

પ્રશ્ન 1.
જંગલોના પ્રકાર વિશે સવિસ્તર નોંધ લખો.
અથવા વહીવટી દષ્ટિએ જંગલોના પ્રકાર જણાવી, તેમનું વર્ણન કરો. (March 20)
ઉત્તરઃ
(i) વહીવટી હેતુસર જંગલોના પ્રકારોઃ વહીવટી હેતુસર જંગલોને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે . અનામત જંગલો (આરક્ષિત જંગલો) (Reserved Forest), 2. સંરક્ષિત જંગલો (Protected Forest) અને 3. અવર્ગીકત જંગલો (Unclassified Forest).

1. અનામત જંગલો (આરક્ષિત જંગલો): જે જંગલોને ઈમારતી લાકડું તેમજ વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવેલાં હોય તેને ‘અનામત’ કે ‘આરક્ષિત’ જંગલો કહે છે.

  • તેમાં વૃક્ષોને કાપવાની, લાકડાં વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી.
  • આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે.
  • તે ભારતનાં જંગલોના કુલ વિસ્તારના 54.4% રોકે છે.

2. સંરક્ષિત જંગલોઃ ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડાં વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે.

  • આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે.
  • તે ભારતના કુલ વનવિસ્તારના 29.2% રોકે છે.

૩. અવર્ગીકૃત જંગલો: જે જંગલવિસ્તારો દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આવ્યા નથી, તેને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે.

  • તેમાં વૃક્ષોને કાપવા, ખેતી કરવા કે પશુઓ ચરાવવા પર કોઈ પ્રતિબંધ હોતો નથી.
  • તે ભારતના કુલ વનવિસ્તારના 16.4% રોકે છે.

(ii) માલિકી અને વ્યવસ્થાપનની દષ્ટિએ જંગલોના પ્રકારઃ
1. રાજ્યની માલિકીનું જંગલ (State Forest): આ પ્રકારનાં જંગલો પર કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે. દેશના મોટા ભાગનાં જંગલો આ પ્રકારનાં છે.
2. સામુદાયિક જંગલ (Communal Forest): આ પ્રકારનાં જંગલો પર ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે.
૩. ખાનગી જંગલ (Private Porest): આ પ્રકારનાં જંગલો વ્યક્તિગત માલિકીનાં હોય છે. આ પ્રકારનાં મોટા ભાગનાં જંગલો ક્ષત-અક્ષત કે ઉજ્જડ બની ગયાં છે. દેશનાં ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ જંગલો આવેલાં છે.

GSEB Solutions Class 10 Social Science Chapter 9 વન અને વન્યજીવ સંસાધન

પ્રશ્ન 2.
વન-સંરક્ષણના ઉપાયો વર્ણવો.
અથવા જંગલોના સંરક્ષણ માટેના ઉપાયો વર્ણવો.
ઉત્તર:
વન-સંરક્ષણ માટેના ઉપાયો નીચે પ્રમાણે છે:

  • બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌરઊર્જા, પવનઊર્જા, બાયોઊર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા.
  • બળતણ માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવાં.
  • જરૂરિયાત કે નિર્માણ કાર્ય માટે જે વૃક્ષો અનિવાર્યપણે કાપવાં પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિનાં વૃક્ષો વાવવાં જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ.
  • જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોને તેમની જરૂરિયાત માટે વનીકરણ કરવાની ફરજ પાડવી જોઈએ.
  • ઇકો-ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું.
  • સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું.
  • શાળા-કૉલેજોનાં પાઠ્યપુસ્તકોમાં વન-સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો તેમજ વિદ્યાર્થીઓને વન-સંરક્ષણની જરૂરિયાત સમજાવવી.
  • ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ (Social Forestry) અને કૃષિ વનીકરણ (Agro Forestry) જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સઘન પગલાં ભરવાં.
  • વન-સંસાધનોનો કરકસરભય ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલાં વૃક્ષોને દૂર કરવાથી બીજાં તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો વિકાસ ઝડપી બનશે.
  • દાવાનળથી જંગલો નાશ પામે છે. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે અને આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્ર કે દળ ઊભું કરવું.
  • જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક સ્થળો પર યોજાતા મેળાઓ, ભંડારા કે પરિક્રમા જેવી પ્રવૃત્તિમાં હજારો યાત્રિકો જમા થાય છે. એ સમય દરમિયાન જંગલમાં એકઠા થતા કચરાનો યોગ્ય નિકાલ ન થતાં જંગલ દૂષિત થાય છે.
  • પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તારો હોવા જોઈએ.

પ્રશ્ન 3.
વન્ય જીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો.
ઉત્તર:
વન્ય જીવોના સંરક્ષણ માટેની વિવિધ પરિયોજનાઓઃ

1. વાઘ પરિયોજનાઃ અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશ(નિર્વનીકરણ)ને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે ઈ. સ. 1971માં “વાઘ પરિયોજના’ (ટાઇગર પ્રૉજેક્ટ) શરૂ કરી છે. આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યાં. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 44 જેટલાં ક્ષેત્રો કાર્યરત છે.

2. હાથી પરિયોજનાઃ હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગો(Corridor)નું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈ. સ. 1992માં હાથી ‘પરિયોજના’ શરૂ કરી છે. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલનપોષણ માટે કામગીરી કરવામાં આવે છે.

3. ગેંડા પરિયોજનાઃ આ પરિયોજના અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારત ‘રાઈનો વિઝન’ (Rhino Vision) 2020ની વ્યુહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

4. ઘડિયાલ પરિયોજનાઃ મીઠા પાણીમાં રહેતી ઘડિયાલ નામની મગરોની પ્રજાતિ ઈ. સ. 1970ના દસકામાં લુપ્ત થવાને આરે હતી. મગરોની પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે આ પરિયોજના શરૂ કરી છે.
GSEB Solutions Class 10 Social Science Chapter 9 વન અને વન્યજીવ સંસાધન 1
5. ગીધ પરિયોજના: ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે. ગીધોની સંખ્યામાં વધારો કરવા ભારત સરકારે ઈ. સ. 2004માં ગીધ પરિયોજના’ શરૂ કરી છે.

6. હિમદીપડા પરિયોજનાઃ હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ હિમાચ્છાદિત ક્ષેત્રમાં હિમદીપડાની પ્રજાતિ વસે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે જાગૃત થાય એ ઉદ્દેશથી ભારત સરકારે ઈ. સ. 2000માં હિમદીપડા પરિયોજના’ શરૂ કરી છે.

ઉપર દર્શાવેલી પરિયોજનાઓ ઉપરાંત, દેશમાં ‘કશ્મીરી હંગુલ પરિયોજના’, ‘લાલ પાંડા પરિયોજના’, ‘મણિપુર થામિલ પરિયોજના’, ગંગા ડૉલ્ફિન પરિયોજના’ વગેરે પરિયોજનાઓ કાર્યરત છે.

GSEB Solutions Class 10 Social Science Chapter 9 વન અને વન્યજીવ સંસાધન

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:

પ્રશ્ન 1.
જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું?
ઉત્તર:
જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે.

  • તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું ‘રક્ષણ કરવાનો છે.
  • આ ઉપરાંત, ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે.
  • અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
  • જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.
  • આ ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી વધારે હોય છે.
  • નીલગિરિ, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પચમઢી, કચ્છનું રણ વગેરે દેશનાં જાણીતાં જૈવ આરક્ષિત ક્ષેત્રો છે.

પ્રશ્ન 2.
ગુજરાતમાં અગાઉ ક્યાં ક્યાં વાઘ જોવા મળતા હતા?
ઉત્તર:
ગુજરાતમાં અગાઉ ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગનાં જંગલોમાં વાઘ જોવા મળતા હતા.

પ્રશ્ન 3.
નિર્વનીકરણની અસરો જણાવો. (August 20)
અથવા
જંગલોના વિનાશની અસરો જણાવો.
અથવા
નિર્વનીકરણના પ્રભાવ વિશે લખો.
ઉત્તર:
નિર્વનીકરણની – જંગલોના વિનાશની – અસરો નીચે પ્રમાણે છે:

  • વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઈડની માત્રામાં વધારો થયો છે.
  • હરિત ગૃહ પ્રભાવ(ગ્રીનહાઉસ ઇફેક્ટ)ની અસરો વધારે ઘેરી બને છે.
  • માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા સમસ્યા વધી છે.
  • દીપકલ્પીય ભારતનાં જંગલોનો મોટા પાયે વિનાશ થવાને કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે.
  • વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે.
  • વરસાદનું પ્રમાણ ઘટ્યું છે.
  • દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે.
  • અનેક વન્ય જીવો નિરાશ્રિત થયા છે.
  • વન્ય જીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે.
  • માંસાહારી વન્ય જીવો દ્વારા જંગલની નજીકનાં ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે.
  • કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયાં છે.

GSEB Solutions Class 10 Social Science Chapter 9 વન અને વન્યજીવ સંસાધન

પ્રશ્ન 4.
લુપ્ત થતા વન્ય જીવ વિશે નોંધ લખો.
અથવા
“લુપ્ત થતા વન્ય જીવન અંગે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે.” આ વિધાન સમજાવો.
અથવા
“માનવીય દખલના કારણે વન્ય જીવો વિનાશના આરે ઊભા { છે.તે સ્પષ્ટ કરો. (August 20)
ઉત્તર:
જે પ્રાણીજાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશમાત્ર શંકા ન રહી હોય એ પ્રાણીજાતિ ‘લુપ્ત વન્ય જીવ’ કહેવાય છે.

  • આજે અસંખ્ય વન્ય જીવો વિનાશના આરે ઊભેલા છે.
  • ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે માત્ર મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલય ક્ષેત્રનાં જંગલોમાં જ વાઘ જોવા મળે છે.
  • એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી અને પંચમહાલ તથા ડાંગનાં જંગલોમાં વાઘ હતા. આજે ગુજરાતનાં જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે.
  • આજે ભારતનાં જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો છે.
  • અગાઉ ભારતનાં જંગલોમાં સહજ જોવા મળતી પક્ષીઓની અનેક જાતો હવે ભાગ્યે જ જોવા મળે છે.
  • ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ વગેરે પક્ષીઓ ભયના આરે ઊભેલાં એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે.
  • અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી.
  • નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાલ અને ગંગેય ડૉલ્ફિન વિનાશના આરે ઊભેલા જીવો છે.
  • ઓડિશા અને ગુજરાતના સમુદ્રકિનારે રેતીના તટે ઈંડાં મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા સતત ઘટતી જાય છે.
  • ગુજરાતમાં નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓમાં જળબિલાડી લગભગ લુપ્ત થઈ રહી છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:

પ્રશ્ન 1.
અભયારણ્ય એટલે શું?
ઉત્તર:
જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો ‘અભયારણ્ય’ કહેવાય છે.

  • કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે.
  • તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ-પ્રવૃત્તિઓ કરી શકાય છે.
  • સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે.
  • પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ્, સરિકા વગેરે દેશનાં જાણીતાં અભયારણ્યો છે.

GSEB Solutions Class 10 Social Science Chapter 9 વન અને વન્યજીવ સંસાધન 2

પ્રશ્ન 2.
રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું?
ઉત્તર:
કુદરતી વનસ્પતિ, વન્ય જીવો, કુદરતી સૌંદર્યનાં સ્થળો તેમજ મહત્ત્વનાં રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારો રાષ્ટ્રીય ઉદ્યાનો’ કહેવાય છે.

  • તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે.
  • તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે.
  • તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.
  • અહીં સહેલાણીઓના હરવા-ફરવા પર પણ નિયંત્રણ હોય છે.
  • તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી.
  • તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે.
  • કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચિગામ વગેરે દેશનાં રાષ્ટ્રીય ઉદ્યાનો છે.

GSEB Solutions Class 10 Social Science Chapter 9 વન અને વન્યજીવ સંસાધન

પ્રશ્ન 3.
ભારતમાં કયાં કયાં જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ 3 શિયાળો ગાળવા આવે છે?
ઉત્તર:
ભારતમાં રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે.

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ગુજરાતનાં જંગલોમાંથી લુપ્ત થયેલો વન્ય જીવ ક્યો છે?
A. ઘુડખર
B. રીંછ
C. વાઘ
D. દીપડો
ઉત્તર:
C. વાઘ

પ્રશ્ન 2.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ(ગ્રામપંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત)નું નિયંત્રણ હોય તે જંગલો ……………….
A. ગ્રામ્ય વનો
B. અભયારણ્ય
C. સામુદાયિક જંગલ
D. ઝૂમ જંગલ
ઉત્તર:
C. સામુદાયિક જંગલ

પ્રશ્ન 3.
વિશ્વમાં પશુ-પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે?
A. બાર લાખ
B. એકવીસ લાખ
C. સાત લાખ
D. પંદર લાખ
ઉત્તર:
D. પંદર લાખ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *