GSEB Solutions Class 9 Social Science Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

   

Gujarat Board GSEB Textbook Solutions Class 9 Social Science Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો Textbook Exercise and Answers.

મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો Class 9 GSEB Solutions Social Science Chapter 9

GSEB Class 9 Social Science મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના જવાબ આપો:

પ્રશ્ન 1.
બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો.
ઉત્તર:
ભારતના બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો નીચે મુજબ છેઃ

  • બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું.
  • બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો – ગૌરવ જાળવવું.
  • સ્વાતંત્ર્યસંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોને માન આપવું તેમજ તેનું પાલન કરવું.
  • દેશનાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું.
  • આવશ્યકતા ઊભી થાય ત્યારે દેશના રક્ષણ માટે રાષ્ટ્રસેવામાં જોડાવું.
  • દેશના લોકોમાં સુમેળ રહે અને પરસ્પર બંધુત્વની ભાવનાની વૃદ્ધિ થાય એવાં કામો કરવાં.
  • સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડતા વ્યવહારોનો ત્યાગ કરવો.
  • રાષ્ટ્રના સમૃદ્ધ, સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું.
  • કાયદાઓનું પાલન કરવું.
  • કરવેરા પ્રામાણિકપણે ભરવા.
  • જંગલો, નદીઓ, સરોવરો અને વન્ય જીવો સહિત પર્યાવરણનું જતન કરવું અને તેમાં સુધારો થાય તેવા પ્રયત્નો કરવા. બધા જીવો પ્રત્યે દયા રાખવી.
  • વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો તેમજ માનવવાદ અને સંશોધન વૃત્તિ વિકસાવવાં.
  • જાહેર મિલકતોનું રક્ષણ કરવું.
  • હિંસાનું આચરણ ન કરવું.
  • વ્યક્તિગત તેમજ સામૂહિક પુરુષાર્થના બધાં ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા સિદ્ધ કરવા પ્રયત્નો કરવા.
  • પોતાના બાળકને મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે અપાતું શિક્ષણ આપવું એ દરેક માતા-પિતાની ફરજ રહેશે.

GSEB Solutions Class 9 Social Science Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

પ્રશ્ન 2.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્ત્વ દર્શાવો.
અથવા
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? એનું ધ્યેય શું છે? આ સિદ્ધાંતોનું મહત્ત્વ દર્શાવો.
ઉત્તર:
દેશના રાષ્ટ્રીય જીવન અને સામાજિક જીવનનાં જુદાં જુદાં નીતિવિષયક ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિઓ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને ‘રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો’ કહેવામાં આવે છે.

  • દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પર આધારિત સમાજવ્યવસ્થા સ્થાપવી એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મુખ્ય ધ્યેય છે.
  • ભારત એક ‘કલ્યાણ રાજ્ય’ welfare state) બને એવો આદર્શ આ સિદ્ધાંતોએ સેવ્યો છે.
  • દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માટે રાજ્ય સન્નિષ્ઠ પ્રયાસો કરે એવો માર્ગદર્શક આદેશ આ સિદ્ધાંતો દ્વારા આપવામાં આવ્યો છે.
  • મૂળભૂત હકો ઉપરાંત, મનુષ્યના સર્વતોમુખી વિકાસ માટે અતિ આવશ્યક એવા અન્ય કેટલાક હકોનો સમાવેશ આ સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે.
  • સ્વસ્થ વિદેશનીતિના ઘડતર માટે પણ આ સિદ્ધાંતો પાયાનાં રચનાત્મક સૂચનો કરે છે.
  • આ સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત હોતો નથી. આમ છતાં, કલ્યાણ રાજ્ય અને વિશ્વશાંતિના ધ્યેયને વરેલી કોઈ પણ સરકારને આ સિદ્ધાંતોની ઉપેક્ષા કરવી નહિ, એવું માર્ગદર્શન આ સિદ્ધાંતોમાંથી મળી રહે છે.
  • આ સિદ્ધાંતોએ કલ્યાણકારી સમાજવાદી સમાજવ્યવસ્થાનું નિર્માણ કરવાની રૂપરેખા આપી છે.
  • રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાવિ સમાજનું દર્શન રજૂ કરે છે. આપણે કઈ દિશામાં જવાનું તે પ્રત્યે અંગુલીનિર્દેશ કરે છે.
  • ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકર કહે છે, આ સિદ્ધાંતો દેશના શાસનમાં પાયાનું મહત્ત્વ ધરાવે છે. આપણે જે સરકારોને ચૂંટીને સત્તા સોંપીએ છીએ, એ સત્તાનો ઉપયોગ તેમણે કયા હેતુઓ માટે કરવાનો છે તેની આ સિદ્ધાંતો સતત યાદ આપે છે. આ દષ્ટિએ એમનું મહત્ત્વ જરાય ઓછું નથી.

પ્રશ્ન 3.
મૂળભૂત હકોની અગત્ય સમજાવો.
અથવા
મૂળભૂત હકો એટલે શું? તેમનું મહત્ત્વ સમજાવો.
ઉત્તરઃ
મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ.

મૂળભૂત હકો એ દરેક નાગરિકની મહામૂલી પૂંજી અને શક્તિ , છે. તેમના દ્વારા નાગરિક સર્વાગી પ્રગતિ અને વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે છે. સરળ, સ્વસ્થ, સમજદારીભર્યું અને સમૃદ્ધ જીવન જીવવા માટે મૂળભૂત હકો અનિવાર્ય છે. નાગરિકના મૂળભૂત હકોનું રક્ષણ એ બીજી રીતે લોકશાહીનું જ રક્ષણ છે. જે સરકાર નાગરિકોને પાયાના હકો ગણાતા મૂળભૂત હકો આપે તેને લોકશાહી સરકાર કહી શકાય. આમ, મૂળભૂત હકોમાં લોકશાહીની ભાવના રહેલી હોવાથી તેમનું અસાધારણ મહત્ત્વ છે.

પ્રશ્ન 4.
વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું?
ઉત્તર:
સ્વતંત્રતાના હક દ્વારા ભારતના દરેક નાગરિક પોતાના વિચારોને વાણી અને લેખન દ્વારા રજૂ કરી શકે છે.

  • પરંતુ કોઈ પણ નાગરિક આ હકનો અમર્યાદિત અને નિરંકુશપણે ઉપયોગ કરી શકે નહિ.
  • ભારતના બંધારણે આ હક દ્વારા આપેલી સ્વતંત્રતાઓ બધા નાગરિકોએ કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવાની હોય છે.
  • ભારતનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા, જાહેર શાંતિ અને સલામતી, વિદેશો સાથે મૈત્રીભર્યા સંબંધો, અદાલતનો તિરસ્કાર, બદનક્ષી, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખી નાગરિકની સ્વતંત્રતાઓ પર રાજ્ય કાયદા દ્વારા મર્યાદાઓ અને નિયંત્રણો મૂકી શકે છે.
  • ભારતનો નાગરિક શાંતિથી અને શસ્ત્રો વિના એકઠા થવાની, જાહેર સભા ભરવાની અને સરઘસો કાઢવાની સ્વતંત્રતા ધરાવે છે. પરંતુ કોઈ પણ નાગરિકને રાષ્ટ્રીય ધોરી માર્ગ (હાઇવે) અને રેલમાર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર મળતો નથી.
  • નાગરિકો મંડળો, સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા કેટલાંક નિયંત્રણો અને મર્યાદાઓ હેઠળ ભોગવી શકે છે.
  • બધા નાગરિકો જાહેર હિત જોખમાય નહિ એ રીતે ધંધો કે વ્યવસાય કરવાનો હક ભોગવી શકે છે. રાજ્ય ધંધો કે વ્યવસાય અને રોજગાર માટેની લાયકાતનાં ધોરણો નક્કી કરી શકે છે.

પ્રશ્ન 5.
નિવારક અટકાયત (પ્રતિબંધિત અટકાયત ધારા) વિશે લખો.
ઉત્તર:
રાજ્ય સરકારને ખાતરી થાય કે એક વ્યક્તિ કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ કરવાની છે તો સાવચેતીનાં પગલાં તરીકે તેની નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય છે.

નિવારક અટકાયત ધારાનો મુખ્ય હેતુ અટકાયતીને તેના સંભવિત ગુનાહિત કૃત્ય માટે શિક્ષા કરવાનો નથી, પરંતુ તેને રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો અટકાવવાનો છે. આ ધારા અન્વયે અટકાયતીને ત્રણ માસ કરતાં વધારે સમય સુધી અટકાયતમાં રાખી શકાતી નથી. વડી અદાલતના ન્યાયાધીશ કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયતનો હુકમ રદ કરી શકાય છે.

અટકાયતીને કેટલા સમય સુધી અટકાયતમાં રાખવો તેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે.

GSEB Solutions Class 9 Social Science Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

પ્રશ્ન 6.
ભારતના બંધારણમાં આપેલ બંધારણીય અધિકારો જણાવો.
અથવા
ભારતના નાગરિકને કયા કયા મૂળભૂત હકો આપવામાં આવ્યા છે?
ઉત્તર:
ભારતના નાગરિકને બંધારણે આ છ બંધારણીય અધિકારો – મૂળભૂત હકો – આપ્યા છે:

  1. સમાનતાનો હક,
  2. સ્વતંત્રતાનો હક,
  3. ધાર્મિક સ્વાતંત્ર્યનો હક,
  4. સાંસ્કૃતિક . અને શૈક્ષણિક હક,
  5. શોષણના વિરોધનો હક અને (6) બંધારણીય ઇલાજોના હક.

[ઈ. સ. 1978માં ભારત સરકારે બંધારણમાં સુધારો કરીને નાગરિકના મિલકત ધરાવવાના હકને મૂળભૂત અધિકારોમાંથી નાબૂદ કર્યો છે. મિલકતના અધિકારને માત્ર કાનૂની અધિકાર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.]

પ્રશ્ન 7.
લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો.
ઉત્તર:
લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો આ મુજબ છે:

  1. લઘુમતી કોમો પોતાની સંસ્કૃતિ, ભાષા કે ધર્મના આધારે શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે તેમજ તેનું સંચાલન કરી શકે છે.
  2. રાજ્યસરકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તેમને દરેક પ્રકારની નાણાકીય સહાય આપવા બંધાયેલી છે.
  3. રાજ્યસરકાર લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન જરૂરી વળતર આપીને જ કરી શકે છે.

2. ટૂંક નોંધ લખોઃ

પ્રશ્ન 1.
સમાનતાનો હક
ઉત્તરઃ
સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે.

  • સમાનતાના હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક મળેલો છે.
  • આ હક સરકારી નોકરીઓ, ધંધો, જાહેર રોજગાર, હોદ્દાની પ્રાપ્તિ, ધાર્મિક સ્વતંત્રતા, જાહેર સ્થળનો ઉપયોગ, સામાજિક જીવન વગેરેની બાબતમાં દરેક નાગરિકને સમાનતા આપે છે.
  • દેશની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક દષ્ટિએ પછાત મનાતા વર્ગો માટે રાજ્ય સરકાર ખાસ જોગવાઈઓ કરે તો તે સમાનતાના હકનો ભંગ ગણાશે નહિ.
  • આ વર્ગો માટે સરકારી નોકરીઓમાં તેમજ શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો રાખવામાં આવે છે.
  • ભારતીય સમાજનું કલંક ગણાતી અસ્પૃશ્યતાને બંધારણે નાબૂદ કરી છે. તેથી અસ્પૃશ્યો કે અન્ય પછાત જાતિઓના લોકોને અછૂત ગણી તેમનો તિરસ્કાર કરી શકાશે નહિ, અસ્પૃશ્યતાનું આચરણ સજાપાત્ર ગુનો બને છે.
  • સમાજમાં કૃત્રિમ ભેદભાવ સર્જતા ઇલકાબો અને ખિતાબો નાબૂદ છે કરવામાં આવ્યા છે.

પ્રશ્ન 2.
બંધારણીય ઇલાજોનો હક
ઉત્તર:
ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે.

  • કોઈ પણ મૂળભૂત હકનું પાલન ન થતું હોય કે તેનો ભંગ ૬ થતો હોય તો કોઈ પણ નાગરિક એ હકના રક્ષણ માટે વડી અદાલત (હાઈકોટ) કે સર્વોચ્ચ અદાલત પાસે દાદ માગી શકે છે.
  • આ માટે અદાલતને હાજર હુકમ, કર્તવ્ય હુકમ, મનાઈ હુકમ વગેરે હુકમો – આદેશો બહાર પાડવાની બંધારણીય સત્તા આપવામાં આવી છે.
  • અદાલતો પાસે આવેલી મૂળભૂત હકના ભંગ બદલની ફરિયાદ બરાબર સાંભળીને નાગરિકોને ન્યાય આપવો એ અદાલતોની ફરજ બને છે.
  • આમ, આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ ૨ બદલ અદાલતોમાં જવાનો અને એ હકોનું રક્ષણ મેળવવાનો અધિકાર આપે છે.
  • ડૉ. બાબાસાહેબ આંબેડકરના મત મુજબ, “બંધારણીય ઇલાજો સંબંધી જોગવાઈ સમગ્ર “બંધારણના આત્મા’ સમાન છે.”
  • અલબત્ત, જ્યારે દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી હોય ત્યારે અન્ય મૂળભૂત હકોની જેમ આ હકનો અમલ પણ મોકૂફ રાખી શકાય છે.

પ્રશ્ન 3.
સ્વતંત્રતાનો હક
ઉત્તરઃ
સ્વતંત્રતાનો હક એ લોકશાહીનો પ્રાણ છે.

  • સ્વતંત્રતાના હક વિનાની લોકશાહીની કલ્પના થઈ શકે નહિ.
  • લોકશાહીના સફળ સંચાલન માટે સ્વતંત્રતા જરૂરી છે.
  • દેશના પ્રત્યેક નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે અને અભિવ્યક્તિ કરવા માટે સ્વતંત્રતાનો હક અનિવાર્ય છે.
  • વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે સ્વતંત્રતાના હકનું સવિશેષ મહત્ત્વ છે.
  • આ હક દ્વારા ભારતીય નાગરિકો પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે.
  • વ્યક્તિ સ્વાતંત્ર્યને આવરી લેતા આ હકને છ પ્રકારની સ્વતંત્રતાઓમાં વહેંચી નાખવામાં આવ્યો છે.
  • બંધારણે નિર્ધારિત કરેલ મર્યાદામાં રહીને આ હક ભોગવવાની નાગરિકોને બાંયધરી આપવામાં આવી છે.
  • આ હક દ્વારા નાગરિકોને આ પ્રમાણે સ્વતંત્રતાઓ આપવામાં આવી છેઃ
    (1) વિચાર, વાણી અને લેખનની સ્વતંત્રતા;
    (2) શાંતિપૂર્વક, શસ્ત્રો વિના એકઠા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા;
    (3) મંડળો, સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા;
    (4) ભારતના સમગ્ર ક્ષેત્રમાં મુક્તપણે હરવા-ફરવાની સ્વતંત્રતા;
    (5) ભારતના સમગ્ર ક્ષેત્રના (જમ્મુ-કશ્મીર સિવાય) કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા તથા
    (6) કોઈ પણ વ્યવસાય, કામકાજ, વેપાર, ધંધો અને રોજગારની સ્વતંત્રતા.

GSEB Solutions Class 9 Social Science Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

પ્રશ્ન 4.
શોષણ સામેનો હક
ઉત્તરઃ
આ હક દ્વારા શોષણવિહીન સમાજની સ્થાપનાનો બંધારણનો ઉદ્દેશ સિદ્ધ થયો છે.

  • આ હક દ્વારા દરેક નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ સામે રક્ષણ આપવામાં આવ્યું છે.
  • આ હક દ્વારા ગુલામીની પ્રથા, ફરજિયાત વેઠપ્રથા, બાળમજૂરી, લોહીનો વેપાર વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બધા પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે.
  • કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતને કે લઘુતમ વેતનથી ઓછા વતને ફરજિયાત કે બળજબરીપૂર્વક કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે.
  • આ હક મુજબ, 14 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને કારખાનાંમાં, ખાણોમાં કે અન્ય જોખમભરેલાં સ્થાને નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. બાળમજૂરી કાનૂન હેઠળ આ પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે.
  • માલિકો મજૂરોનું શોષણ ન કરે તે માટે પણ બંધારણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.
  • આ હક વ્યક્તિના ગૌરવનો સ્વીકાર અને રક્ષણ કરે છે.

પ્રશ્ન 5.
ટૂંક નોંધ લખો આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો
ઉત્તર:
ભારતના તમામ નાગરિકોનું કલ્યાણ થાય એ રીતે સમાજનાં ભૌતિક સંસાધનોની સમાન વહેંચણી કરવી.

  • દેશમાં ઉત્પાદન વધે અને કોઈનું શોષણ ન થાય એ માટે રાજ્યનાં ઉત્પાદનનાં સાધનો અને તેની વહેંચણી પર નિયંત્રણો મૂકવાં.
  • જનકલ્યાણને અવરોધરૂપ આવતા સંપત્તિના કેન્દ્રીકરણને અટકાવવું.
  • સમાન કામ માટે સ્ત્રી-પુરુષને સમાન વેતન મળે એ માટે રાજ્ય પ્રયાસ કરવા.
  • સ્ત્રીઓ અને બાળમજૂરોને તેમનું આરોગ્ય જોખમાય એવાં કામમાં રોકવા નહિ. બધા જ વર્ગના કામદારોને કામગીરીના બદલામાં યોગ્ય વેતન આપવું તથા તેમને શારીરિક અને માનસિક વિકાસની સગવડો પૂરી પાડવી. કામના સ્થળે બધા જ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે એવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું.
  • સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ અને રાહત આપવાં.
  • રાજ્ય નાગરિકોને માંદગી, અપંગ અવસ્થા, વૃદ્ધાવસ્થા કે અન્ય આફતો સામે વીમા યોજના, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેપ્યુઇટી, બચત યોજના, આરોગ્યગૃહો, દવાખાનાં વગેરે દ્વારા યોગ્ય રક્ષણ આપવું.
  • ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની હિસ્સેદારી વધે એવાં પગલાં ભરવાં.
  • આર્થિક લાચારીને કારણે બાળકોનું શોષણ ન થાય તેમજ તેઓ સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે એ માટેની જરૂરી તકો અને સવલતો ઊભી કરવા રાજ્ય ખાસ પગલાં ભરવાં.
  • ખેતી અને પશુપાલનનો અદ્યતન અને વૈજ્ઞાનિક ઢબે વિકાસ કરવો. દુધાળાં ઢોર અને અન્ય પાલતુ પશુઓની કતલ ન થાય એ માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા.
  • રાજ્યમાં બધાને એકસમાન ન્યાય મળે તેમજ આર્થિક રીતે સમર્થ ન હોય એવા લોકોને ન્યાય આપવાનો ઇન્કાર કરવામાં ન આવે. સૌને મફત કાનૂની સહાય આપવાની વ્યવસ્થા કરવી. એ માટે જરૂરી કાયદા ઘડવા.
  • ખેતમજૂરોને યોગ્ય જીવનધોરણ મળી રહે, તેમને જરૂરી કામ અને આરામ મળે તેમજ તેમને અન્ય નાગરિકોની જેમ શિક્ષણ વગેરેની સગવડો મળે એ માટે રાજ્ય આવશ્યક પગલાં ભરવાં.

પ્રશ્ન 6.
રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો
ઉત્તરઃ
રાજ્ય ગ્રામપંચાયતોની સ્થાપના કરવા આવશ્યક પગલાં ભરશે તેમજ તેમની સત્તા અને તેમના અધિકારોમાં વધારો કરશે. ગ્રામપંચાયતોના નિભાવ માટે રાજ્ય તેમને નાણાકીય મદદ કરશે.

  • ન્યાયાધીશો નિષ્પક્ષ, નિર્ભિક અને નીડરતાથી ન્યાય આપી શકે એ માટે રાજ્ય તેની સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર રાખવા પગલાં ભરશે.
  • આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને વિકાસ માટેના દરેક પ્રયત્નમાં રાજ્ય પૂરતો સહકાર આપશે.
  • બધા દેશો સાથે મૈત્રી અને ભાઈચારાના સંબંધો રાખવા.
  • આંતરરાષ્ટ્રીય કાયદા અને બીજા દેશો સાથેના કરારોને માન આપવું અને તેનું પાલન કરવું.
  • આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનું યુદ્ધને બદલે ચર્ચાઓ અને લવાદોના શાંતિમય માર્ગો દ્વારા નિરાકરણ થાય એ માટે પ્રયત્નો કરવા.
  • વિશ્વમાં દરેક રાષ્ટ્રનું સાર્વભૌમત્વ જળવાય અને રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેના સંબંધો ગૌરવપ્રદ બને એ માટે પ્રયત્નો ચાલુ રાખવા.

3. નીચેના વિધાનોનાં કારણો આપો સમજાવો:

પ્રશ્ન 1.
મૂળભૂત હકોના ભંગ સામે અદાલતનો આશરો લઈ શકાય છે.
ઉત્તર:
ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપવામાં આવ્યો છે.

આ હક મુજબ મૂળભૂત હકોના ભંગ બદલ રક્ષણ મેળવવા સીધા જ સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈ શકાય છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષક અને વાલી તરીકે ફરજ બજાવે છે.

GSEB Solutions Class 9 Social Science Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

પ્રશ્ન 2.
બંધારણીય ઇલાજોનો હક ‘બંધારણના આત્મા’ સમાન છે.
ઉત્તર:
ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે.

  • આ હક મુજબ, કોઈ પણ નાગરિક અદાલતો પાસેથી પોતાના મૂળભૂત હકોનું રક્ષણ મેળવી શકે છે. આથી બંધારણીય ઇલાજોના હકનું અનન્ય મહત્ત્વ છે.
  • તેથી બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબના મતે, “બંધારણીય ઇલાજોનો હક ‘બંધારણના આત્મા સમાન’ છે.”

પ્રશ્ન 3.
સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહિ.
ઉત્તર:
ભારતના બંધારણે સ્વતંત્રતાના મૂળભૂત હક દ્વારા આપેલી સ્વતંત્રતાઓ નાગરિકોએ કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવાની હોય છે.

  • આપણે સમાજમાં રહેતા હોવાથી સમાજનાં હિત અને સલામતી ધ્યાનમાં રાખવાં પડે છે.

દેશનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો, જાહેર વ્યવસ્થા, અદાલતનો તિરસ્કાર, બદનક્ષી, સુરુચિ અને નીતિમત્તા, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખી નાગરિકની સ્વતંત્રતાઓ પર કાયદા દ્વારા વાજબી મર્યાદાઓ મૂકી શકાય છે. આમ, સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહિ.

પ્રશ્ન 4.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગ માટેની પૂર્વશરત છે.
ઉત્તર:
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ સિદ્ધ કરવા માટે મૂળભૂત હકોની જેમ તેમને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભલે આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલું નથી. પરંતુ આ સિદ્ધાંતોનો અમલ કરવામાં આવે તો જ મૂળભૂત હકો સાર્થક બને. આમ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગની પૂર્વશરત છે.

પ્રશ્ન 5.
માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાના વિરોધી નથી બલકે એકબીજાના પૂરક છે.
ઉત્તરઃ
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તાર છે; જ્યારે મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે; જ્યારે મૂળભૂત હકો રાજ્યમાં રાજકીય લોકશાહી સ્થાપે છે.

આમ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાના વિરોધી નથી બલકે એકબીજાના પૂરક છે.

પ્રશ્ન 6.
શોષણમુક્ત સમાજની રચના એ આપણા બંધારણનું મુખ્ય ધ્યેય છે.
ઉત્તર:
ભારતના બંધારણમાં દેશના બધા નાગરિકોને શોષણ સામેનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે. આ હક દ્વારા દરેક નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ સામે પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે. બધા પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે.

14 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને શોષણમાંથી બચાવવા બાળમજૂરી નાબૂદી કાયદો ઘડવામાં આવ્યો છે. માલિકો મજૂરોનું શોષણ ન કરે એ માટે પણ બંધારણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.
આમ, શોષણમુક્ત સમાજની રચના એ આપણા બંધારણનું મુખ્ય ધ્યેય છે.

GSEB Solutions Class 9 Social Science Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

પ્રશ્ન 7.
હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે.
અથવા
હક અને ફરજ એકબીજા સાથે જોડાયેલાં છે.
ઉત્તર:
હક અને ફરજ એકબીજાના પૂરક છે. આપણે અમુક હકનો વિચાર કરીએ એટલે તેની સાથે સંકળાયેલી ફરજનો વિચાર પણ કરવો જ પડે છે. ફરજ વિનાનો કોઈ હક નથી અને હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી. એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિ માટે ફરજ બની રહે છે. હક ભોગવવા માટે ફરજ અચૂક બજાવવી પડે છે. એક નાગરિક પોતાનો હક ભોગવે ત્યારે બીજાના તે પ્રકારના હકો જાળવવા એ તેની ફરજ બની રહે છે. રસ્તાની ડાબી બાજુએ ચાલવાની આપણી ફરજ છે, તેમ બીજાને પણ એ રસ્તા પર સરળતાથી ચાલવાનો હક છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે હક વિના ફરજ નથી અને ફરજ વિના હક નથી. હક અને ફરજ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. તે બંને એક સિક્કાની બે બાજુઓ છે.

પ્રશ્ન 8.
બાળમજૂરી સજાપાત્ર ગુનો છે.
ઉત્તર:
શોષણ વિરોધી હકથી દરેક નાગરિકને શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને જોખમભરેલાં સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આથી બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે.

પ્રશ્ન 9.
(રાજ્યનીતિના) માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી.
ઉત્તરઃ
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત હોતો નથી. એ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલ નથી. તેમનો અમલ કરવા માટે સરકારને અદાલત દ્વારા ફરજ પાડી શકાતી નથી. તેથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી.

પ્રશ્ન 10.
માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે.
ઉત્તર:
દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પર આધારિત સમાજવ્યવસ્થા સ્થાપવી એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મુખ્ય ધ્યેય છે. દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માટે રાજ્ય સન્નિષ્ઠ પ્રયાસો કરે એવો માર્ગદર્શક આદેશ આ સિદ્ધાંતો દ્વારા આપવામાં આવ્યો છે. આ સિદ્ધાંતોએ કલ્યાણકારી સમાજરચનાનું નિર્માણ કરવાની રૂપરેખા દોરી આપી છે. સરકારે તેની સત્તાનો ઉપયોગ કયા હેતુઓ માટે કરવાનો છે. તેની આ સિદ્ધાંતો સતત યાદ આપે છે. આ દષ્ટિએ તે શાસનસત્તાના આધારરૂપ સિદ્ધાંતો છે. તેથી જ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર કહે છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે.

પ્રશ્ન 11.
આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે.
ઉત્તર:
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત હોતો નથી. એ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલ નથી. તેમનો અમલ કરવા માટે સરકારને અદાલત દ્વારા ફરજ પાડી શકાતી નથી. તેથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી.

GSEB Solutions Class 9 Social Science Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

પ્રશ્ન 12.
સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે.
ઉત્તર:
આપણાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોના રક્ષણ પરત્વે તેમજ એ સ્થળોને થઈ રહેલા નુકસાન કે નાશ પરત્વે દેશના નાગરિકોમાં જાગૃતિ અને સભાનતા કેળવવાં જોઈએ. આપણો વારસો અમૂલ્ય છે, તેથી તેને નષ્ટ ન જ થવા દેવાય’ એવો લોકમત કેળવવો જોઈએ. આપણો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો એ આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે. આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ અર્પે છે. તેથી એ વારસાના સંરક્ષણમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેમજ તેના જતનની જવાબદારી ઉઠાવવી જોઈએ. આમ, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ ‘ જોવાની આપણા સૌની ફરજ છે.

4. નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો:

પ્રશ્ન 1.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન’ કહ્યો છે?
A. સ્વતંત્રતાના હકને
B. સમાનતાના હકને
C. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકને
D. બંધારણીય ઇલાજોના હકને
ઉત્તરઃ
D. બંધારણીય ઇલાજોના હકને

પ્રશ્ન 2.
કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે?
A. નરેન્દ્ર મોદી
B. જવાહરલાલ નેહરુ
C. ડૉ. રાજેન્દ્રપ્રસાદ
D. ડૉ. બાબાસાહેબ આંબેડકર
ઉત્તરઃ
D. ડૉ. બાબાસાહેબ આંબેડકર

પ્રશ્ન 3.
પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે?
A. 24 કલાક
B. 6 માસ
C. 3 માસ
D. આજીવન
ઉત્તરઃ
C. 3 માસ

પ્રશ્ન 4.
કઈ ઉંમરનાં બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે?
A. 6થી 14 વર્ષનાં
B. 3 વર્ષ સુધીનાં
C. 14 વર્ષથી ઉપરનાં
D. 18 વર્ષનાં
ઉત્તરઃ
A. 6થી 14 વર્ષનાં

GSEB Solutions Class 9 Social Science Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

પ્રશ્ન 5.
કઈ ઉંમરનાં બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહિ?
A. 14 વર્ષથી નીચેનાં
B. 18 વર્ષથી નીચેનાં
C. 6થી 14 વર્ષનાં
D. 28 વર્ષથી ઉપરનાં
ઉત્તરઃ
A. 14 વર્ષથી નીચેનાં

પ્રશ્ન 6.
કયું આચરણ સામાજિક કલંક ગણાય?
A. અસ્પૃશ્યતા
B. બાળમજૂરી
C. દહેજપ્રથા
D. વહેમ અને અંધશ્રદ્ધા
ઉત્તરઃ
A. અસ્પૃશ્યતા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *